માતૃદીન / Mother's day
ૐ
માતૃદીન / Mother's day
" મા " કેટલી મીઠાસ છે આ શબ્દમાં. જેટલી મીઠાસ શબ્દમાં છે તેના કરતા કરોડો ગણી મીઠાસ છે આ મા નામના પાત્રમાં. મેં ઘણા સમય પહેલા ક્યાંક વાંચ્યુંતું કે ભગવાન બધે નથી પહોંચી શકતો આથી તેણે મા નું સર્જન કર્યુ. દરેક પાસે ભગવાન છે કે નઈ એ તો ખબર નથી પણ દરેક પાસે એક મા તો જરૂર છે અને એ પણ ભગવાનથી કાંઈ કમ નથી. પોતાના બાળકોના દુઃખ દૂર કરવા ભગવાન સાથે પણ લડી શકે છે. કેટલું સરસ!!!! ભગવાન પાસે તો બે હાથ જોડી વિંનતી કરીએ અને થોડી રાહ જોઈએ એ પછી આપણી જોઈતી વસ્તુ આપણને મળે પરંતુ મા પાસે કાંઈ માંગીયે ને મા એ ના આપે એવું તો બની જ ના શકે.
આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણી સુંદર પંક્તિઓ, કવિતાઓ મા માટે લખાયેલી છે. મને યાદ છે કે દસમા બારમા ધોરણમાં મા વિશે નિબંધ લખવાનો આવેલો. કવિ બોટાદકર ની આ સુંદર કવિતા તો મારી પ્રિય છે,
" જનનીની જોડ સખી નહિ જડે રેલોલ " આજ પણ સાંભળ્યા રાખીએ.
એમાએ આ પંક્તિ તો કેટલી સરસ છે, " વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માડીનો મેઘ બારેમાસ રે જનનીની જોડ સખી નહિ જડે રેલોલ " સાચે જ "મા તે મા બીજા વગડાના વા ". દુનિયામાં બધું જ મળશે, બધા સંબધો મળશે પણ જન્મ આપનાર મા બાપ એક વખત ગયાને તો ક્યારેય નહિ મળે અને એ મારાથી વધારે તો કોણ સમજી શકે કારણકે મેં બંનેને ખોયા છે.
દીકરી એની જિંદગીના 20 થી 25 વર્ષ મા બાપ સાથે વિતાવે છે અને પછી હંમેશા સાસરે હોઈ તો દિલથી સાથ આપતી રહે છે. દીકરો હંમેશા સાથે હોઈ છતાં ઘણી વખત બહુ દૂર રહેતા હોઈ એવુ લાગે. દુનિયાના બધા જ ઋણ ચૂકવી શકાઈ પરંતુ મા બાપનું ઋણ ક્યારેય નથી ચૂકવી શકાતું. ઘણી બધી પોતાની ઈચ્છાઓનો ત્યાગ આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે કાર્યો હશે. આપણા ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે પોતાના વર્તમાનનો ભોગ આપ્યો હશે. આપણી તકલીફો દૂર કરવા ઘણી માનતાઓ માની હશે, અરે! આપણને મેળવવા માટે પણ કેટલાય મંદિરે માથા ટેકવ્યા હશે અને જયારે આપણે આવિયા હશે ત્યારે ઘણાય હરખપદુડા થઈ પેંડા વેંચ્યા હશે. આ બધું આપણને ત્યારે સમજાય છે જયારે આપણે સંતાનો માતા પિતા બન્યે. છતાએ ઘણી વખત આપણે થોડાક નિજી સ્વાર્થ માટે એમના હૃદયને દુઃખ પહોંચાડતા હોઈએ છે.
હશે સમય સાથે ઘણી બાબતોમાં ફેરફારો કરવા પડે છે એની જેમ આજના જમાનામાં પણ મા બાપે હરખપદુડા ના થતા પોતાની માટે પોતા પૂરતું રાખી પછી જ બાળકોને માલમિલકત આપવી. અત્યારે લાચારીનો ઝમાનો નથી. હું ઘણી વખત વૃદ્ધાશ્રમમાં જાવ છું ત્યારે ખરેખર તે વડીલોને જોઈને ખુબ દિલ દુખે. આજ એક વાત ચોક્કસ કહીશ કે આ વૃદ્ધાશ્રમો હિંદુઓના વડીલો માટે મેં જોયા છે ક્યાંય મુસ્લિમ લોકોના વૃદ્ધાશ્રમ મેં નથી જોયા મિત્રો ચોક્કસ વિચારજો.આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેવાય છે તો આ દેવી દેવતાં ઘરમંદિરોમાં હોવા જોઈએ ના કે વૃદ્ધાશ્રમમાં. આ બાબત ચોક્કસ વિચારજો અને તમારા વિચારો મને પણ જણાવશો.
બધાને માતૃદિનની ખુબ ખુબ શુભકામનાઓ. આજ અહીંયા એટલે કે ઇંગ્લેન્ડમાં માતૃદીન ઉજવવામાં આવે છે. બધા આજ મા ને સરસ ભેટો આપે છે અને કદાચ વર્ષમાં એક દિવસે માનો આભાર મને છે. પરંતુ મા ના ઋણી તો આખી જિંદગી રહેવાના તો એક દિવસ નહિ દરરોજ માતૃદીન જ છે કદાચ દરરોજ ભેટો ને ફૂલ ના આપ્યે મમ્મીને પણ સરસ રીતે નમ્રતાથી વાત કરીએ, તેમની મદદ કરીએ, તેમનું કહેવું માનીએ, તેમને કાંઈ તકલીફ હોઈ એવું લાગે તો એનો હાથ પકડી એને કહીએ " મમ્મી તું ચિંતા ના કરીશ હું છું ને " એટલું કહેશો એટલે મમ્મીની બધી જ તકલીફ દૂર નહિ થાઈ તો કાંઈ નહિ પણ એનામાં એ તકલીફો સામે લડવાની હિંમત ચોક્કસ આવી જશે.
ફરીથી દુનિયાની બધી માતાઓને નમન અને માતૃદિનની ખુબ ખુબ શુભકામનાઓ. ચાલો મિત્રો ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો